લફરું કરતી વખતે શું ધ્યાનમાં રાખશો અને જો લફરું કરતાં પકડાઈ જાવ તો તાત્કાલિક ધોરણે શું કરશો?



(આ લેખ મનોરંજન માટે છે, હું લફરા કરવાની તરફેણમાં નથી. આ તો કેટલાક વૈજ્ઞાનિક તથ્યો પરથી અને લફરાં જોયા પછી આવેલા વિચારો નીચે રજૂ કર્યા છે.)


ગામેગામ મહાનુભાવોની યશગાથા ગવાતી હોય છે, એમ ગામેગામ લફરા થતાં હોય છે. ઘરમાં, આડોશ-પાડોશમાં, કામના સ્થળે, રસ્તામાં વગેરે. કોઈપણ સ્થળે-પ્રસંગે કાંડ મંડાઇ જતું હોય છે. લફરાબાઝી કરવાનો જો ઇતિહાસ જોઈએ તો કોઈ ચોક્કસ સમય કહી ના શકાય પણ રાજાશાહી વખતે પુરુષો પાસે વધારે સત્તા હતી ત્યારે તેઓ લફરાંનો વિકલ્પ પસંદ કરી શકતા અને પછી ઘરમાં કંકાસ થતો. કંકાસ અટકાવા જ કદાચ દેવવાસી અને ગણિકાઓની વ્યવસ્થા એ સમયે પ્રચલિત થઈ હશે. ખબર નહીં. પણ ધીમે-ધીમે દેશ આગળ વધતો ગયો, વૃદ્ધિ થતી ગઈ અને પુરુષો પાસે જે વધારે સત્તા હતી. તે ઓછી થઈ ગઈ અને હવે સ્ત્રીઓ પાસે સમાન અથવા પુરુષ કરતાં વધારે સત્તા આવી ગઈ છે. માટે સ્ત્રીઓ પણ છાતી ઠોકીને છાનામાના લફરાં કરી શકે છે. આવા અવૈધ સંબંધમાં બહુ ધ્યાન રાખવું પડે એમ છે. તમારી પાસે જો પૂરતી સમજણ(સ્માર્ટનેસ) ન હોય તો પકડાઈ જવાની શક્યતા વધી જાય છે. લફરું કરતી વખતે શું ધ્યાન રાખશો? એ જાણતા પહેલા પ્રથમ તો એ સમજીએ લફરું કરવાની જરૂર શા માટે પડે છે?

મુદ્દો૧. ગજા બ્હારના વચનો- બેફામ સાહેબના એક શેરથી મુદ્દાની શરૂઆત કરીશ એટલે તમે થોડી ગંભીરતાથી મારી વાત લેશો.

"હું જાણું છું, મહોબ્બતમાં નથી એનું વજન કંઇએ,

છતાંયે કાં મને તારા વચનનો ભાર લાગે છે?"

આ શેરમાં જ બધું આવી ગયું. સામેના પાત્રને ગજા બહારના વચન આપી દીધા બાદ સમય વીતતાં નવા માણસો મળે, નવા માણસો પોતાની સાથે નવી તકો લાવે. તો એ તકોને ઝડપવાની માનવ સહજ વૃત્તિ જાગે અને જૂના વચનો નિભાવી શકાતા નથી. વચન જ્યારે તૂટે ત્યારે બે નુકશાન થાય. એક: જીવનના મૂલ્યોની દ્રષ્ટિએ તમે ઉત્તમ કહેવાવ નહીં. તમે દોગાલા, તળિયા વગરના લોટા, ડબલ ઢોલકી, ખોટાડા, ગપૂડીયા, ચીટર, ફેંકૂડા અને જૂઠ્ઠા બની દેખાશો. નુકશાન નંબર બે:તમારા જૂના પાત્ર સાથે સંબંધ ખરાબ થશે અને તેનો વિશ્વાસ ગુમાવી બેસસો. છતાય માણસો લફરુ કરવા પ્રેરાય છે.

મુદ્દો૨. તમારા genesમાં પલિગમી વર્તણુક સારા પ્રમાણમાં શક્રિય હોય ત્યારે લફરુ કે અફેર કરવાની ઈચ્છા જાગતી હોય છે. હવે તમે વિચારશો આ પલિગમી વર્તણુક શું હોય? આ જીવસૃષ્ટિમાં દરેક જીવના સંબંધ બાંધવાના બે પ્રકાર હોય છે ૧) પુરુષો માટે polygamy કે સ્ત્રીઓ માટે polyandry અને ૨) મોનોગમી (monogamy). મનુષ્ય જીવની વૃત્તિ પલિગમી વર્તણૂકમાં આવે છે. પલિગમી એટલે એકથી વધુ પાત્રો સાથે સંબંધ બાંધવાની વૃત્તિ અને મોનોગમી એટલે એક જ પાત્ર સાથે સંબંધ રાખવાનું વલણ. માનવ જીવ મોનોગમી છે નહીં. છતાં, તેનું ચલણ સમાજ દ્વારા લાદવામાં આવે છે. જેના પરિણામો અફેર અને લફરાબાઝી તરફ લઈ જાય છે.


લફરુ કરતી વખતે ધ્યાનમાં શું રાખશો?

૧. લફરુ કરતાં પહેલા જ પ્લેબોય જેમ વર્તન કરવું. આ મહત્વની બાબત છે. તમારું અન્ય વ્યક્તિને સ્નેહથી જોઈ રહેવું(અમસ્તા), જાંખવું, ટગર-ટગર જોવું, આંખો ચોરાવી, જૂના પાત્ર સમક્ષ અન્ય વ્યક્તિની પ્રસંશા કરવી, તે વ્યક્તિ અંગે અથવા તે વ્યક્તિ સાથે મીઠી-મીઠી વાતો કરવી, ફ્લર્ટ કરવું, તેમના પ્રત્યે હેતભાવ દર્શાવવો. જોજો આવું વર્તન જેની સાથે લફરુ કરવાનું છે એની સાથે આમાંનું કશું ન કરતાં. જૂના પાત્રની હાજરીમાં અન્ય ચાર-પાંચ વ્યક્તિ સાથે આવું બધુ કરવાનું. જેથી તમારા જૂના પાત્રને સહેજ અકળામણ થાય. તમારા પર શંકા જાય, તમારો ફોન જોવે, તમારા વર્તન પર નિગરાની રાખે. પણ કશું હાથ ન આવે. આવું ત્રણ-ચાર વ્યક્તિ સાથે થઈ જાય પછી જૂનાપાત્રને લાગશે કે તમે છો જ એવા. તમને તો બધા સાથે લવલા-લવલી કરવા જોઈએ પણ ક્યાંય મેળ પડવાનો નથી. આવું એકવાર લાગ્યું પછી તમારો રસ્તો સાફ.

૨. ઉદાસ ન દેખાવું. મોટાભાગના લોકો લફરુ કર્યા પછી ત્રણ પ્રકારનું વલણ અપનાવે. એક: નોરમલ વર્તવું. જાણે કશું થયું જ નથી. જેનાથી લફરુ છુપાવ્યું હોય તે પાત્ર સાથે સહજતાથી વર્તવું. આ વર્તન શંકા ઉપજાવી શકે છે બે: ગુનાની ભાવના(ગિલ્ટ) આ પણ એક રેડ અલર્ટ છે. તમે મનોમન સંતાપ કરતાં હોવ કે હું મારા પ્રિયજન સાથે ખોટું કરું છું અથવા મારા મૂલ્યોથી વિરુદ્ધ વર્તી રહી/રહ્યો છું. આ ભાવના તમારું લફરુ પકડાવી શકે છે કારણ ગુનાભાવમાંથી પ્રગટતી અકળામણ-ચિંતા ચહેરાના હાવભાવ અને વર્તનમાં દેખાય આવે ત્યારે શંકા ઊભી થાય છે. જૂના પાત્રને તમારા વર્તન અંગે સવાલ થઈ શકે છે: કેમ આ માણસ અસહજ વર્તન કરે છે? ક્યાંક લફરુ તો નથીને આને? ત્રીજું: અતિશય લાગણી દર્શાવવી. લફરુ કર્યા પછી જૂના પાત્ર સાથે વધુ લાગણીમય બનવું, તેના પ્રત્યે વધુ પ્રેમ દર્શાવવો, તેને હસાવવું, કઈક ભેટ આપવી અથવા તેના કામમાં મદદરૂપ થવું. આવું ના કરતા. એનાથી વિરુદ્ધનું વર્તન પણ ન કરવું. જેમ કે ગુસ્સે થવું, કકળાટ કરવો, તેનો તિરસ્કાર કરવો, તેના પ્રત્યે અરુચિ રાખવી. આવા બધા વર્તન સામી વ્યક્તિને શંકા જાય એવા થઈ શકે છે. તેમને લાગશે “જરૂર કોઈક બીજું મળી કે ગમી ગયું છે માટે જ મારી સાથે આવું ખરાબ વર્તે છે. હું હવે એમને નથી ગમતો/ગમતી.” આવા બધા વિચારોને અવકાશ મળી શકે છે તો ઉપર દર્શાવેલ વલણો ભૂલથી પણ ન અપનાવતા. લફરુ કરતી વેળાએ આવું કશું કરવું નહીં. આવા વર્તન તમારા ફોનની ચકાસણી અથવા તમારા પાછળ ગુપ્તચર મૂકવા સુધી લઈ જઈ શકે છે.

૩. જૂના પાત્રની એના મોઢા પર ટીકા કરવી. તેના કામમાં કે વર્તન પર ટિપ્પણી કરવી, તે મુદાને લઈને તતડાઈ નાખવાનો/નાખવાની એને. આવી વાત ધ્યાનથી અને સમજદારીથી સમય અને સંજોગ જોઈને મૂકવી પડે એમ છે. કારણ જો તમે પાત્રને ખોટું લગાડ્યું તો મામલો દલીલ અને ઝઘડા સુધી પહોંચી શકે છે અને લફરુ કરતી વખતે દલીલ અને ઝઘડાથી તો દૂર જ રહેવું. કારણ જો દલીલ કે ઝઘડામાં ભાગ ભજવ્યો તો પાત્રના મનમાં તમારા પ્રત્યે સ્નેહ ઓછો થશે અને નફરત વધી શકે છે, એના કરતાં તે ગુસ્સે થઈ દલીલ કે ઝઘડો કરવા પ્રેરાય તો મૂંગા થઈ જવું. કશો જવાબ આપવો નહીં. એ પરિસ્થિતીમાંથી ખસી જવું. તમારા ખસી ગયા પછી પાત્ર પણ સ્વ-સંદેહમાં ગર્ત થઈ જશે કે “મારી ટીકાનો મુદ્દો આમ અચાનક એમણે કેમ કાઢ્યો? શું મારામાં એ ખામી છે? અથવા તે ગુણ સ્વીકારવો જોઈએ? આટલા સમયથી સાથે છીએ તો કેમ આવી વાત કરી એમણે? શું આટલા સમયમાં હું યથાર્થ(ઈવોલ્વ) નથી થયો/થઈ? બધા કહે છે ઉંમર સાથે જવાબદારીઓ અને સંજોગો બદલાય, એના પરથી માણસનો જોવાનો, સમજવાનો દ્રષ્ટિકોણ બદલાય, તે જડ રહેતો નથી. તો મારામાં બદલાવ નથી આવ્યો? કે આવ્યો છે? મારી એ બાબત એમને ખટકતી હશે? મારામાં એ ગુણ નથી તો હું એમને અનાકર્ષક લાગુ છું?” તમારી ટીકાથી કાં તો પાત્રને આવા વિચાર આવે અથવા તો બીજું એવું બને કે તમારું પાત્ર તમારા પર ચઢી બેસે: “હવે, તમને કઈ નથી આવડતું, તમે નથી બદલાયા. મને જેમ ગમે એમ નથી કરતાં/રહેતા. રાતે પથારીમાં ત્રણ મિનટથી વધારે તો ટકી શકાતું નથી અને આયા મને ક્રિટીસાઈઝ કરવા, પેલા પોતે સુધરો પછી બીજાને સલાહ અપાય. આયા મોટા મારી ખોદણી કરવા!” આવું પણ બને. પણ તમારે ચૂપ રહેવાનુ છે. મેં ઉપર કહ્યું એમ તમારે દલીલ કરવાની આવતી જ નથી. એક નિખાલસ સ્મિત આપી “સારું” કહી ત્યાંથી ખસી જવાનું. પછી જોવો તેમનું સેલ્ફ-એનાલિસિસ.

 

૪.ટેક્નોલૉજીથી દૂર રહેવું. મોટાભાગના લફરા ટેક્નોલૉજીના કારણે પકડાય જાય છે. મોબાઇલમાં ફોટા, ચેટ, વિડીયો કોલ, સોસાયટી/ઘર/દુકાનના સી.સી.ટી.વી. કેમેરા ફૂટેજ, કોલ હિસ્ટ્રી. આ બધુ તમને રંગેહાથ પકડાવી શકે છે. તો ઉપકરણોથી દૂર રહી જૂના જમાના જેમ રહેવું. એવી રીતે મળવું કે આચરવું કે જો કોઈ તમને સાથે જોવે તો પણ લાગે કે “અરે આ બે માણસ ફક્ત એક પુરુષ અને એક સ્ત્રી છે. જે સાથે છે એથી વધારે કઈ નહીં.” શહેરી લોકો કદાચ પૂછે કે અમારે ક્યાં જઈને મળવું? શહેરમાં તો ઠેર-ઠેર કેમેરા હોય છે, ગાર્ડન, રેસ્ટોરન્ટ, ઓફિસ, ઘર બધે. તો તમે એમ કરી શકો કે ફ્લેટના ધાબા પર જતાં રહેવાનુ, તમે જે બ્લોક કે વિંગના ધાબે ચઢ્યા હોવ તમારા પ્રિય પાત્રને અન્ય વિંગના ધાબેથી ઉપર આવવા કહેવાનું. બંનેએ પછી પાળી કે થોડી ગેપ હોય એ કૂદીને મળી લેવાનું અથવા આવી જ પ્રયુક્તિથી સ્મશાનમાં મળવાનું. સ્મશાનમાં મળવાના ઘણા ફાયદા છે. પહેલું: તમે તમારા લફરાંપાત્રને જાહેરમાં ગુલાબ આપી શકશો. ગુલાબ પકડી તમે બંને સાથે ચાલશો તો પણ કોઈને ભનક નહીં પડે કે તમે બંને લફરાબાઝ છો. એમને તો એમ જ લાગશે કે આ બે કો'કની કબર પર ફૂલ મૂકવા જાય છે. બીજું: કબર પાસે જઈ તમે અને તમારા લફરાંપાત્ર છૂટથી હગ કરી શકશો. તમે એકબીજાને જકડીને આલિંગન આપશો તો પણ કોઈને શંકા નહીં જાય. કોઈ તમને જોતું હશે તો લાગશે, “આ તો બિચારા મરેલા આદમીના વિયોગમાં બહુ દુખી થઈ રહ્યા છે.” તમારે એકબીજાને મન ભરીને હગ કરી લેવાનું. જે-તે વ્યક્તિને એવું લાગે કે “હા આ બંને શોક પાળી રહ્યા છે ત્યારે એને પણ થશે લાવ, આમને થોડી સ્પેશ આપું. હૂઁ મારૂ કામ કરું. આ બે ઉપર નિગરાની રાખવા કરતાં.” જેવુ તે વ્યક્તિ જાય એટલે સાવધાનીથી, આજુબાજુ જોઈને, કોઈ તમને દેખી નથી રહ્યું જાણીને તમે તમારા લફરાપાત્રને કિસ પણ કરી શકો. પછી શાંતિથી સ્મશાનના બાકડે બેસી વાતો કરવાની. આ રીતે પણ મળી શકાય. ઉપરાંત તમે ગટરોના ભૂંગળામાં પણ મળી શકો. જી, હા તમને માનવામાં નહીં આવે પણ શહેરોના ગ્રામીણ અથવા ઓછા વિકસિત વિસ્તારોમાં ગટરલાઇનના મોટા-મોટા ભૂંગળા પડ્યા હોય છે, તમે એ ભૂંગળામાં પણ મળી શકો છો. તો મેં તમને ત્રણ જગ્યા જણાવી. આવી રીતે તમે મળી શકો છો અને કોઈને ખબર પણ નહીં પડે. કદાચ, તમને આવી રીતે મળવું અઘરું પડે પણ મેં પહેલા જ ઉપર જણાવ્યુ સુરક્ષિત રીતે લફરું કરવા માટે સ્માર્ટ હોવું જરૂરી છે, બધામાં એવી સ્માર્ટનેસ નથી હોતી. તો આવું જોખમ ઉઠાવાની તૈયારી હોય તો જ લફરાબાઝીમાં પગ મુકજો.

૫.લફરાપાત્રને જણાવી દેવું કે તે લફરાપાત્ર છે, જેથી તે આગળ જતાં જૂના પાત્રને રિપ્લેસ કરવા અથવા એને છોડવાની માંગ ન કરે. આવું શરૂઆતથી જ કહી દેવાથી કદાચ લફરાપાત્ર તમારાથી દૂર જાય પણ લફરાપાત્રને પણ ફોસલાવીને સ્નેહ કરવાથી તમારી જ મુશ્કેલીઓ વધી જશે. એના કરતાં કહી દેવાનું જો હું મારા જૂના પાત્ર સાથે પ્રામાણિક નથી રહ્યો, તો તું મારાથી પ્રમાણિક્તાની અપેક્ષા ન રાખ. કદાચ, હું અત્યારે તને વચન આપી પણ દઉં તો ભવિષ્યમાં એને નિભાવીશ જ એની કોઈ ગેરંટી નથી. કારણ કે ભૂતકાળમાં મેં જૂના પાત્રને વચન આપ્યા અથવા એની સાથે હતો/હતી છતાં, પણ હું તારી સાથે થવા માંગુ છું તો મારા જેવા/જેવી પાર્ટી બદલું/લંપટ/કામાંધ/વંઠેલ/દુરાચારી/લફંગાં/ધૂર્ત માણસથી પ્રમાણિક માણસની અપેક્ષા ન જ રાખી શકાય. તમારી આ પ્રમાણિક્તાથી કદાચ તે ઇમ્પ્રેસ થઈ લફરુ કરવા રાજી પણ થાય. તો પ્રમાણિક નથી એવું જણાવી પ્રમાણિક્તા દાખવી દેવી.

૬. છઠ્ઠો અને અંતિમ મુદ્દો. જો આ મુદ્દાને તમે આત્મસાત કરી લીધો તો જીવનમાં મોક્ષ પ્રાપ્ત કરી લીધો સમજજો. વળગણ કોઈનું ન રાખવું. જૂના પાત્ર અને લફરાપાત્ર બંનેને એવો અહેસાસ અપાવવો કે એમના જતાં રહેવાથી કે એમના ન હોવાથી તમારા જીવનમાં શું ફેર થઈ શકે અથવા તો કોઈ ફેર નહીં થાય, તમે પોતાને સંભાળી લેશો. તમારી જિંદગીમાં કોઈ બીજું આવી જ જશે અને એવી બાહેંધરી આપવી કે તમે એમના વગર જીવી શકો છો. જો આ બાબતનો ખ્યાલ એમને આવી જશે તો એમણે તમને ગુમાવા નહીં માંગે. ના કરે નારાયણ અને તમારું લફરુ પકડાય જાય તો પણ એ તમને જતાં કરી દેશે. કદાચ ના પણ કરે. જેવી તમારી એમના પ્રત્યેની છાપ.

 

અત: આ બાબતોનું ધ્યાન રાખવું. ચોરીછૂપીથી રહેવું. તેમ છતાં, તમારું કાંડ પકડાય જાય, તો બધુ છોડીને તાત્કાલિક ધોરણે અંડરગ્રાઊન્ડ થઈ જવું. રાજસ્થાન કે મધ્યપ્રદેશ જેવા આસપાસના રાજ્યોમાં તડીપાર થઈ જવું. વેશ પલટો કરી નાખવાનો, વાળ ડાઈ કરાઇ દેવાના, કાળા હોય તો ધોળા કરવાના, પીળા હોય તો લાલ અને લાલ હોય તો વાદળી. એકાદ નંબર વગરના ચશ્મા કઢાવી લેવાના અને જો ચશ્મા હોય તો લેન્સ કરાવી લેવાના. પુરુષોએ દાઢી રાખી હોય તો કાઢી નાખવાની અને ના રાખી હોય તો વધારવાની. મૂળ વાત એમ કે તમે જલ્દીથી ઓળખાઈ જવા ના જોઈએ. પછી એકાદ ગામમાં રૂમ ભાડે રાખી રહેવા લાગવાનુ. કરિયાણાની કે કટલરીની દુકાને પાંચ-સાત હજારની નોકરીએ લાગી જવાનું. એટલામાં તમારો જીવન-નિર્વાહ થઈ જાય અને ખાતામાંથી પૈસા ઉપાડવા નહીં પડે અને કોઈ તમારું ખાતું ટ્રેક કરી તમારા સુધી નહીં પહોંચી શકે. તમે ગુમ થશો એટલે તમારો પરિવારજન પોલીસને જાણ કરશે. પછી પોલીસ તમને શોધશે પણ તમે હાથ આવશો નહીં. એકાદ મહિના બાદ તમારા નામના પોસ્ટર લાગશે કે ફલાણા ભાઈ/બેન ગુમ થયેલ છે. છાપામાં જાહેરાત છાપવામાં આવશે. જો તમારા કુટુંબને અને જૂનાપાત્રને તમારી બહુ પડી હશે તો કદાચ ટીવીમાં પણ જાહેરાત આવી જાય પણ તમારે બ્હાર નીકળવાનું થતું નથી. પહેલી જ વારમાં તમે બ્હાર જતાં રહ્યા તો તમારી મુશ્કેલીઓ વધશે. એના કરતાં થોડો સમય રાહ જોવાની. થોડા દિવસ બાદ ફરી તમારા નામની જાહેરાત બ્હાર આવશે. આ વખતે તમારા પર ઈનામ મૂકવામાં આવશે કે “જે કોઈ વ્યક્તિ આ ભાઈ કે બેનને સલામત શોધી લાવશે એને યોગ્ય વળતર આપવામાં આવશે.” બીજું આવું પણ લખશે “ફલાણા ભાઈ-બેન જો તમે આ વાંચી રહ્યા હોવ તો મહેરબાની કરી ઘરે આવી જાવ કોઈ તમને કઈ નહીં કહે.” આવું લખાઈ જાય પછી તમારે તીન પત્તીમાં જેમ રોનની સામે ત્રણ એક્કા નીકળે એમ બ્હાર નીકળવાનું છે. તમારે એકદમ રઝળપટ હાલતમાં ઘરે જવાનું. બધા તમારી સારસંભાળ લેશે અને કોઈ કઈ પ્રશ્નો કરે તો એકદમ મંદ અવાજે, હળવે હળવે જવાબ આપવાનો. વાક્ય પૂરા નહીં કરવાના. જવાબ આપતા આપતા અચાનક અટકી જવાનું અને વિસ્મયકારક ભાવે ડઘાઈ જઈ પ્રશ્ન કરનારને જોઈ રહેવાનુ. આવું કરશો એટલે પ્રશ્ન કરનારને લાગશે તમે ભારે સદમાંમાં છો. જેથી તે આગળ પૂછતાછ નહીં કરે. થોડો સમય નીરસ અને ઓછાબોલું રહેવાનું. ચૂપચાપ અમસ્તા બારી બ્હાર પંખીઓને જોઈ રહેવાનુ. ઝરૂખામાં ખુરશી નાખી રસ્તા પર આવતા-જતાં વાહનો અને કોઈ ગાડીને પાણીથી સાફ કરતું હોય તો એને જોઈ રહેવાનું, ઘરમાં બંધ ટીવી સામે બેસી રહેવાનુ. ધીમે ધીમે બધુ નોર્મલ થઈ જશે. આ બધુ થયા પછી ફરી જો લફરું કરવાની ઈચ્છા જાગે તો તમે નવા લફરાં માટે લાયક બનો છો અને જો ફરી પકડાઈ જાવ તો ફરી અંડરગ્રાઊન્ડ થઈ જવાનું. આ રીતે સાઇકલ રિપીટ કરતાં રહેવાનુ અને એક દિવસ તમારી લફરામાં માસ્ટરી આવી જશે.–કીર્તિદેવ.

પલીગમી વિષે વધુ માહિતી: https://www.verywellmind.com/what-is-polygamy-5207972#:~:text=Polygamy%20is%20the%20opposite%20of,type%20of%20relationship%20may%20have.

Comments